પાણીદાર સરકાર પાણીમાં બેઠી : ઉનાળામાં ખેડૂતો પાણી માટે વલખાં મારશે, નહીં મળે પાણી

Gujarat Farmers : હાલ ગુજરાતના ખેડૂત સરકારને પૂછી રહ્યો છે કે, ઉનાળુ પાક માટે પાણી ક્યાંથી લાવવુ. જો પાણી નહિ મળે તો લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોનો વિરોધ જોવા મળશે
 

પાણીદાર સરકાર પાણીમાં બેઠી : ઉનાળામાં ખેડૂતો પાણી માટે વલખાં મારશે,  નહીં મળે પાણી

Agriculture News : ગુજરાતનો ખેડૂતો પરના સંકટ ક્યારેય દૂર થતા નથી. એક સમયે ગુજરાતનો ખેડૂત પાણી માટે વલખા મારતો હતો. તેના બાદ ખેડૂતોને પાણી પહોંચાડવા માટે કેનાલની વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ હવે આ કેનાલ પણ ખેડૂતોના કોઈ કામમાં નથી આવી રહી. એક તરફ ઉનાળો દસ્તક આપી ચૂક્યું છે, માવઠાનો માર હજી ભૂલાયો નથી, ત્યાં ગુજરાતના ખેડૂતના માથે વધુ એક મુસીબત આવીને ઉભી છે. ખેડૂતો માટે માઠા સમાચાર એ છે કે, કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈનું પાણી નહિ મળે. ત્યારે હવે ઉનાળુ પાક માટે પાણી ક્યાંથી લાવવું તે મોટી મૂંઝવણ છે. 

હજી કમોસમી વરસાદથી કળ વળી નથી ત્યાં નર્મદા નિગમે કેનાલમાં સિંચાઈનું પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે. ઉનાળુ પાકની સીઝન માથા પર આવીને ઉભી રહી છે, ત્યારે ખરા ટાંણે કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવાના નિર્ણયથી ગુજરાતના ખેડૂતો ટેન્શનમાં મૂકાયા છે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામા આવી છે.

નર્મદા નિગમે કેનાલમાં સિંચાઈનું પાણી ન આપવા નિર્ણય કર્યો છે. જેથી સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. એક તરફ ઉનાળુ પાક લેવાની તમામ તૈયારીઓ ખેડૂતો દ્વારા કરી લેવાઈ છે. તો બીજી તરફ, પાણી વગર પાક કેવી રીતે લેવો. હાલ પાણી વગર વાવણી કરવી કે નહિ તે મોટો પ્રશ્ન છે. 

આવામાં જો ઉનાળુ પાકને પાણી નહિ મળે તો ખેડૂતોને મોટું નુકસાન જશે. આપના કિસાન સંગઠનના પ્રમુખ રાજુ કપરડાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. 

લોકસભા પહેલા ખેડૂતો આક્રમક બનશે
લોકસભાની ચૂંટણી માથા પર છે. ત્યારે ખેડૂતોને પાણી ન આપવાના નિર્ણયનો રોષ ચૂંટણી પર જોવા મળી શકે છે. ખેડૂતોએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં નિર્ણયને પરત લેવા માંગ કરી છે. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે, જો સિંચાઈનું પાણી નહિ મળે તો આગામી લોકસભાની ચૂંટણીમાં નેતાઓ ખેડૂતોના આક્રોશનો ભોગ બની શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news