રૂપાલાની માફી પછી ક્ષત્રિયોના અક્કડ વલણનો છે આ અહેવાલ, જાણી લો ભાજપના નેતાએ શું કહ્યું

ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન રૂપાલા સૌથી વધુ ચર્ચામાં રહ્યાં હતા. રૂપાલાએ ક્ષત્રિયો પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ આ વિવાદ શરૂ થયો હતો. રૂપાલાએ આ મુદ્દે મતદાન પૂર્ણ થવાના બીજા દિવસે ફરી માફી માંગી છે. પરંતુ ક્ષત્રિયોએ તેમની માફીનો સ્વીકાર કર્યો નથી. 
 

રૂપાલાની માફી પછી ક્ષત્રિયોના અક્કડ વલણનો છે આ અહેવાલ, જાણી લો ભાજપના નેતાએ શું કહ્યું

રાજકોટઃ ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું, ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ ગયા છે. હવે ઈન્તજાર પરિણામ છે. ગુજરાતની ચૂંટણી સૌથી વધુ ચર્ચામાં ક્ષત્રિય સમાજનું આંદોલન રહ્યું હતું. રૂપાલાએ આપેલા એક નિવેદનથી ક્ષત્રિય સમાજ મતદાન સુધી રૂપાલા અને ભાજપનો વિરોધ કર્યો. ખુલ્લીને ભાજપ વિરુદ્ધ મતદાન પણ કર્યું. તેમ છતાં ફરી એકવાર રૂપાલાએ માફી માગી...પરંતુ ક્ષત્રિયો માફીને માનવા તૈયાર જ નથી જુઓ રૂપાલાની માફી અને ત્યારપછી ક્ષત્રિયોના અક્કડ વલણનો આ અહેવાલ.

હવે  શું ઈચ્છી રહ્યો છે ક્ષત્રિય સમાજ?
વિશ્વમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જેનાથી ક્યારેય ભૂલ ન થાય. ભૂલ તમામથી થાય છે, પરંતુ ભૂલ પછી જ્યારે વ્યક્તિ તેનો ખેદ વ્યક્ત કરી લે કે પછી માફી માગી લે તો તેને માફ કરી દેવો જોઈએ. ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું. શાંતિપૂર્ણ માહોલમાં સૌએ લોકશાહીનું મહાપર્વ ઉજવ્યું. મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે રૂપાલાએ ફરી એકવાર જાહેરમાં આવીને ક્ષત્રિયોની માફી માગી. માફી માગી એટલું જ નહીં ક્ષત્રિયોને દેશના વિકાસમાં જોડાઈ જવા માટે આહવાન કર્યું. સૌથી પહેલા તો તમે રૂપાલાની માફી સાંભળી લો....

— Parshottam Rupala (मोदी का परिवार) (@PRupala) May 8, 2024

તો સાંભળ્યું તમે?, રૂપાલા કહી રહ્યા છે કે મતદાનના દિવસો દરમિયાન જો મેં માફી માગી હોત તો કેટલાક લોકો કહેતા કે, આ રાજકીય માફી છે. પરંતુ મેં મતદાન પૂર્ણ થઈ ગયા પછી આ માફી માંગુ છું, ક્ષત્રિયો હવે મોટું મન રાખી માફ કરે અને દેશના વિકાસમાં સહભાગી થાય. રૂપાલાએ નિખાલસતાથી કબૂલાત પણ કરી કે મારી રાજકીય કારકીર્દીમાં આ સૌથી કઠીન સમય હતો. 

રૂપાલા આ પહેલા પણ ઘણીવખત માફી માગી ચુક્યા છે. રૂપાલાની આ માફી પણ ક્ષત્રિયોને મંજૂર હોય તેમ લાગતું નથી. ક્ષત્રિય આગેવાન અને સંકલન સમિતિના સભ્ય દેવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, રૂપાલાની માફી પણ રાજકીય છે.  તેમણે સમાજના કોઈ પ્લેટફોર્મ કે પછી માતૃશક્તિની માફી નથી માગી....

ક્ષત્રિય સમાજની લાગણી સો ટકા ઘવાઈ છે. તેમના પર રૂપાલાના નિવેદન અસ્મિતાને હાની પહોંચાડનારું હતું. પરંતુ રૂપાલાની આટઆટલી માફી પછી પણ જો આટલું અક્કડ વલણ રાખવું તે યતિશોયુક્તિ લાગી રહ્યું છે. દર વખતે માફીને નકારી દેવી. ક્ષત્રિયોના આંદોલન પાર્ટ વનમાં રૂપાલાની ટિકિટ રદ સિવાય કંઈ ન ખપે તેવી માગ કરવી. આંદોલન પાર્ટ-ટુમાં ભાજપનો ખુલ્લીને વિરોધ કરવો. ફરી રૂપાલાએ માફી માગી છતાં પણ તેને નકારી દેવી. આનાથી સંકલન સમિતિ પોતાના જ સમાજનું નુકસાન કરી રહી હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. વાતચીત કરીને અથવા તો સમાજનું સંમેલન બોલાવી તેમાં રૂપાલા માફી માગે તેવી રીતે કોઈ સમાધાન નીકળી શકે છે. પરંતુ દર વખતે માફી મંજૂર જ નથી તેવું અક્કડ વલણ ગુજરાત અને દેશ માટે સારુ નથી. આનાથી મોટું નુકસાન જશે. 

માફી એ માફી હોય છે. ક્ષત્રિય સમાજ જે શબ્દો ઈચ્છે તેવા જ શબ્દો રૂપાલા ન પણ બોલી શકે. પરંતુ મતદાન પૂર્ણ થઈ ગયા પછી પણ જો કોઈ વ્યક્તિ માફી માગતો હોય તેને માફ કરી દેવો જોઈએ. આ માફીને રાજકીય માફી સાથે ન જોડી શકાય. ક્ષત્રિયોએ પણ સમજવું પડશે કે કોઈ પણ આંદોલન એક હદ કરતાં વધુ લાંબુ ચાલે તો તેનો કોઈ હલ નીકળતો નથી. ઉપરથી આંદોલનકારીઓને નુકસાન જાય છે. ક્ષત્રિયોએ સમજવું પડશે કે ચૂંટણી ગુજરાતમાં પુરી થઈ ગઈ છે. જો હજુ પણ આ વિવાદનો અંત નહીં આવે તો, લાંબા ગાળે મોટું નુકસાન વેઠવાનો વારો સમાજને આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news